સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આહવાના એસ.ટી.ડેપો ખાતે યોજાયુ સફાઈ અભિયાન
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આહવાના એસ.ટી.ડેપો ખાતે યોજાયુ સફાઈ અભિયાન
ચિરાગ પંચાલ-ડાંગ
રાજ્યભરમાં ગ્રામીણ-શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં 'સફાઈ અભિયાન' હાથ ધરતા મહાનુભાવો
સફાઈ અભિયાનમાં સહભાગી થતા ગ્રામજનો
સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૫ ઓક્ટોબર ને રવિવારના રોજ, રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા 'બસ સ્ટેન્ડ' અને 'રેલવે સ્ટેશન'માં વિશેષ 'સફાઈ અભિયાન' હાથ ધરવાના ભાગરૂપે, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ અભિયાનમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, અને ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક જોડાઈને, સ્વચ્છતાને સંસ્કાર બનાવવાના ભગીરથ કાર્યમાં આહુતિ આપી હતી.
આ સફાઈ અભિયાનમાં સહભાગી થવા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આહવાનને ઝીલી લેતા અહીં ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી સુભાષભાઈ ગાઈન, યુવા મોરચા પ્રમુખ અને ઉપસરપંચ શ્રી હરિરામ સાવંત, આહવા ગ્રામ પંચાયતના સફાઈકર્મીઓ, ગ્રામજનો વિગેરે ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર ઉપરાંત એસ.ટી.કર્મીઓ,બતથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એસ.બી.એમ. ડિસ્ટ્રિક્ટ કોઓર્ડીનેટર શ્રી વિપુલ પરદેશી તથા તેમની ટિમ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પૂજય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતભરમાં ગત તા.૧૫મી સપ્ટેમ્બર થી તા.૨જી ઓક્ટોબર એટલે કે 'ગાંધી જયંતિ' સુધી 'સ્વચ્છતા હી સેવા' પખવાડિયાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતમાં તો આ સ્વચ્છતા અભિયાન, તા.૧૫ સપ્ટેમ્બર થી તા.૧૫ ઓક્ટોબર-૨૦૨૩ સુધી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
ગાંધીજીની 'સ્વચ્છ ભારત'ની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ગાર્બેજ ફ્રી ઈન્ડીયા’નો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને, આગામી વધુ બે મહિના સુધી, એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે.
રાજ્યભરમાં નાગરિકોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાચા અર્થમાં જનઆંદોલન બન્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'ગાંધી જયંતી' બાદ બે મહિના માટે "સ્વચ્છતા હી સેવા" ઉપક્રમને જાળવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
આ ઉપક્રમમાં દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી, સ્વચ્છતા રાખવા માટે વધુ કટિબદ્ધ બને તે સમયની માંગ છે. દરેક ગુજરાતી એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે, તો જોત જોતામાં આપણું 'ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર' બનશે. સાથે પ્રજાજનોને દૈનિક જીવન ધોરણમાં પણ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થશે.

Comments
Post a Comment