પંચમહાલથી પગપાળા અંબાજી જતા માઈ ભક્તોને માલપુર ટોલબુથ પાસે નડ્યો અકસ્માત… 7 ના મોત 6 ઇજાગ્રસ્ત…
અરવલ્લીના માલપુર ટોલટેક્સ પાસે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે,
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
મળતી વિગતો મુજબ હાલ અનેક માઈ ભક્તો અંબાજીના દર્શને પગપાળા જઈ રહ્યા છે જેમાં અંબાજી જતા પદયાત્રીઓને મહારાષ્ટ્ર પર્સિંગ વાળી કારના ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના વતની હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લામાં માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં અંબાજી જતા પદયાત્રિકોના થયેલા દુખદ મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી આ પદયાત્રીઓના પરિવાર જનોને સાંત્વના પાઠવી છે, તેમજ મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકને રૂપિયા ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે
અને ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.વધુમાં તેમણે આ માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની જરૂરી સારવાર વ્યવસ્થા કરવાની પણ અરવલ્લી જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે
Comments
Post a Comment