ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી...
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 7 એપ્રિલનાં દિવસને વિશ્વ આરોગ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે....
આજે વિશ્વ ચિકિત્સાનાં ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે પણ બીજી તરફ લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બિમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.
વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવાં શુભ સંકલ્પ સાથે સુરત જિલ્લાની ઓલપાડ તાલુકાની કંથરાજ, શિવાજીનગર, સમૂહ વસાહત, કન્યાસી, વિહારા, કોસમ, કીમામલી, પારડીઝાંખરી, આશિયાનાનગર, પરીયા, કઠોદરા, સીથાણ સહિતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચિત્ર, વક્તૃત્વ, નિબંધલેખન જેવી વિવિધ સ્પર્ધાઓ તથા લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવસનો ખાસ સંદેશો આપતાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઇ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય દિવસ ચિકિત્સા ક્ષેત્રનાં વ્યાપક યોગદાન અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સફળતાને ઓળખવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય દિવસ 2022 ની થીમ ‘આપણો ગ્રહ, આપણું આરોગ્ય’ નો હેતુ આપણા ગ્રહ પર રહેતાં દરેક માનવીનાં આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને ઓલપાડનાં બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે આજનાં દિવસે સૌને આરોગ્યપ્રદ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.
Comments
Post a Comment